લેખકોનું કંઇ કર્તવ્ય ખરું?

January 5, 2010

મોટી મોટી વાતો જવા દઇએ તો પણ લેખકોની જવાબદારી તો સૌથી મોટી છે. મુદ્રકો, પ્રકાશકો, તથા વાચકોના માથે દોષનો ટોપલો ઓઢાડી દેવાનું એ બાલિશ કામ છે. જવાબદારીનો સ્વીકાર કરવો, એ પરિપક્વતાની નિશાની છે.

  1. લખવાની જરૂર છે ખરી, તે પ્રશ્ન પહેલાં પૂછવો જોઇએ. ન લખવાથી પણ ભાષા અને સાહિત્યની સેવા કરી શકાય છે. હા, મેં પણ ઘણીવાર લખવાનું માંડી વાર્યું છે. કોઇના ગમે તેટલા અાગ્રહ છતાં ઇચ્છા વિરુદ્ધ લખવું ન જોઇએ.
  2. નવા લેખકોની જરૂર તો છે જ. તેમણે પોતાની પસંદગીના વિષય ઉપર, માળખું તૈયાર કરી, તેને થોડા દિવસો કે વર્ષો સુધી ધીમા તાપે ચડવા દઇ, થોડો થોડો મસાલો નાખતા જઇને, વારંવાર ચાખી જોયા પછી, અને મિત્રોને ચખાડી જોયા પછી, તેમનાં સુચનોને અાદર અાપીને, કૃતિ પૂરી કરવી જોઇએ. સર્જનની ક્રિયા લખવાનું શરુ કરતાં પહેલાં કરવાની હોય છે. કાગળ ઉપર વેરણ છેરણ પડેલા મુદ્દાઓને મનમાં જ અમ તેમ ગોઠવી જોઇને, તેમાં વધઘટ કરીને, વાગોળીને, છેવટે તેની પોતાની ઇચ્છા થાય તો અને ત્યારે તેને કલમમાંથી વહેવા દેવી જોઇએ.
  3. માત્ર સારો વિચાર કે વિસરી ન શકાય તેવો અનુભવ એક સારો લેખ જ બને છે તેમ નથી. પોતાનો એ અનુભવ બીજા સુધી પહોંચાડવો એ લેખકનું કર્તવ્ય છે, માત્ર ટપાલીની જેમ નહીં. સદ્ગત મા, પ્રિયતમા, સંત-સ્વામી-દેવદેવી-ભક્તિરસ, મરણ, દુર્ઘટના, વગેરે તીવ્ર લાગણીઓ જન્માવી શકે, પણ તેમાં વાચકને શા માટે રસ પડવો જોઇએ?
  4. સરળ ભાષા એ કોઇ પણ લખાણની શોભા ગણાવી જોઇએ. અલંકારો, ચમત્કૃિત, ભારેખમ શબ્દો, લાંબાં વાક્યો, મુદ્દાનો અભાવ, ઇતર ભાષાનાં ન સમજાય તેવાં અવતરણો, અા બધું કોઇ પણ કૃતિને મારી નાખવા માટે પૂરતું છે. નવા શબ્દ કે અવતરણની ગુજરાતીમાં સમજણ અાપવી અનિવાર્ય છે. વાચકના વિકાસમાં મદદ કરવી એ સારી વાત છે, પણ તેને ગળે ઠળિયો ભરાય તે સારું ન ગણાય.
  5. બીજા સર્જકનનું લખાણ અમુક હદમાં જ વાપરી શકાય, અને તે પણ પોતાનું કરી નાખીને તો નહીં જ.
  6. લેખ છપાવવાની કે કાવ્ય જાહેરમાં વાંચવાની ઊતાવળ ન કરવી. સુંદર લેખ કે કાવ્ય લખે તે લેખક. તેને પ્રકાશન સાથે કંઇ જ લેવાદેવા નથી. લેખ છપાય તેટલા માત્રથી લેખક થઇ જવાય તેમ નથી. પરંતુ નબળી કૃતિ લેખકની ગેરલાયકાત સાબિત કરવા માટે શક્તિમાન હોય છે.
  7. વ્યાકરણ, છંદ, પ્રાસ, ભાતભાતના નિયમો અને તેમના અપવાદો, જોડણી, ઇત્યાદિ કરતાં સરળતા, મધુરતા, રસમયતા, નવીનતા, ઉપયોગિતા, વધારે અગત્યનાં છે.
  8. ડગલે અને પગલે પોતાની કૃતિ મનમાં ફરી ફરીને વાંચવી જોઇએ, તો જ નવી નવી દિશાઓ મળે, અને ક્ષતિઓ (ભૂલો પણ) નજરે પડે. ભુલો સુધાર્યા પછી ૨-૩ વાર ફરીથી વાંચી જવી જોઇએ. મુદ્રકને ત્યાંથી કાચી છપાઇ થઇને અાવે (પ્રૂફ) તે સત્વરે અને અત્યંત કાળજીપૂર્વક ચકાસી જવાં જોઇએ. મુદ્રણ બરોબર ન લાગે ત્યાં સુધી લખાણને પ્રેસમાં જવાની છૂટ અાપવી ન જોઇએ. ગભરાવાની જરૂર નથી. મુદ્રક અને પ્રકાશક બીજી વખત વધારે ધ્યાનથી તમારું કામ કરશે.

જાગતાને શી રીતે જગાડાય?

November 20, 2009

નીચેની નોંધ “પ્રકાશન વ્યવસ્થાના સુધારા” વિભાગમાંથી અહીં મૂકી છે, કારણ કે ઘણા વાચકો માત્ર નવી પોસ્ટ જ જૂએ છે:

હમણાં જ એક ખ્યાતનામ વકીલ અને સમર્થ લેખકનું, ગાંધીજી અને સ્વાતંત્ર્ય સંગ્રામ ઉપરનું સુંદર પુસ્તક વાંચવામાં અાવ્યું. તેમાં ટૂંકા ટૂંકા લેખોનો સંગ્રહ છે, અને ભારતના ઇતિહાસની વિગતો રસપ્રદ રીતે અાપી છે. સાત્ત્વિક સાહિત્ય માટે જાણીતી એક પ્રકાશન સંસ્થાએ તે બહાર પાડ્યું છે. ઉત્તમ લેખક, પ્રકાશક, લેખોનો વિષય અને અાઝાદીની ચળવળના સમયનો સમન્વય થયો હોય પછી તેમાં શું કહેવાપણું હોય?

લગભગ અઢીસો પાનાં (૮ x ૧૧”) છે, પણ તે વાંચતાં તો મારી અાંખે ઝળઝળિયાં અાવી ગયાં. પ્રત્યેક પંક્તિમાં એક-બે મુદ્રણદોષો છે. જોડણીની વાત જવા દો, અા તો ખોટા અક્ષરો, અાઘાપાછા અને અાડાઅવળા અક્ષરો, “રૂ”ના બદલે “ઋ”, ઉપરાંત સમગ્ર પુસ્તક અાડેધડ ટાઇપ કરવામાં અાવ્યું છે. મને ખબર છે કે અાપણે ત્યાં મુદ્રિત લખાણની ચકાસણી કરવાવાળાઓની અછત છે. પણ ક્ષમાયાચના સાથે કહું છું કે કોઇ અંધ વ્યક્તિએ પણ જો તેના ઉપર નજર ફેરવી હોત તો એ બધી ભૂલો પકડી અને સુધારી શકાઇ હોત.

અાવી અસહ્ય અને અક્ષમ્ય બેદરકારી કેમ સાંખી લેવાય છે? ગુજરાતી ભાષાનો અા તદ્દન નગ્ન તિરસ્કાર છે. એ પુસ્તકની બે હજાર કે ગમે તેટલી નકલ છપાઇ હોય તો પણ તેની હોળી કરીને પ્રકાશકે અને લેખકે જનતાની ક્ષમા માગવી જોઇએ. ગાંધીજીએ તો એક વખત તેમ જ કર્યું હતું, સાવ “ભાષાંતરિયો” અનુવાદ હતો તેથી. ટાઇપ કરનારને કદાચ ઉતાવળ હશે, કોઇ પ્રસંગ સાચવવાનો હશે, ગમે તેમ હોય, પણ અાવું કામ થાય તો તો ઢાંકણીમાં પાણી લેવા જેવું થાય. નબળા લેખકો, દરિદ્ર પ્રકાશનગૃહો, અને ગાંધી સાહિત્ય સિવાયનાં પુસ્તકોમાં પણ અાવું તો ન જ ચાલે, તો પછી સિદ્ધહસ્ત લેખકો અને માતબર પ્રકાશકો પાસેથી પ્રકાશનનાં લઘુતમ ધોરણોની અપેક્ષા તો હોય જ.

ભાષા શીક્ષણ: અંગ્રેજી શીખવવાનો પ્રશ્ન

November 3, 2009

અંગ્રેજી ભાષાને શીક્ષણના માધ્યમ તરીકે ન સ્વીકારીએ તો પણ અંગ્રેજી શીખવાની અાવશ્યકતા નકારી કાઢવા જેવી નથી. વિશ્વ સાથેના સંપર્કમાં રહેવા માટે, અંગ્રેજી વિશ્વભાષા ન હોય તો પણ, અાપણા માટે તો સીધો અને સુલભ માર્ગ છે. ખાસ કરીને તો વિજ્ઞાનના ક્ષેત્રના ઘણા શબ્દો અાપણી ભાષાઓમાં અંગ્રેજીમાંથી જ અાવે છે. વળી એ વાત રખેને વિસરી જઇએ કે ગુજરાતી અને અંગ્રેજી વચ્ચે અાસમાન અને જમીન જેટલો તફાવત લાગતો હોવા છતાં, તે બંને ભાષાઓનું મૂળ તો કોઇ એક ભારતીય-યુરોપિયન (ઇન્ડો-યુરોપિયન) ભાષા જ છે. અર્થાત્, ગુજરાતી જો અાપણી મા છે, તો અંગ્રેજી કદાચ માસી છે, અને કહેવાય છે કે “મા કરતાં ઘણી વાર માસી ચડી જાય”. મન મનાવવાની અા એક બારી છે ખરી. સમસ્ત વિશ્વને કુટુંબ  - वसुधैव कुटुंबकम् – ગણવાની ભાવનાનું ધૂર્તતાભર્યું શરણ લઇ શકાય ખરું. થોડા સમય માટે અાપણે અાંધળી રાષ્ટ્રભક્તિને જરા બાજુ ઉપર મૂકીને વિચારીએ.

ભારત છોડીને ઇન્ગ્લૅન્ડ તથા અમેરિકા જઇને વસેલા ગુજરાતીઓને તો અંગ્રેજી શીખ્યા વિના છૂટકો જ નથી. અંગ્રેજી વગર ન જ ચાલે તેમ નથી, પણ ત્યાં કંઇ કામ કરવું હોય કે કોઇની સાથે બે શબ્દો બોલવા જેટલો સંબંધ રાખવો હોય, કે ત્યાંની હોસ્પિટલમાં, ન કરે નારાયણ અને દાખળ થવું પડે તો અંગ્રેજીની સૂગ તરત જ ઊતરી જાય. ગેરકાયદેસર રીતે, લઘુતમ કરતાં પણ ઓછા વેતને નોકરી કરવાની ગુલામીમાંથી છૂટવું હોય તો અંગ્રેજીની ગુલામી વહોરવી હિતાવહ છે. ભારતથી અાવતા વડીલો, ભાઇભાંડુઓ, એ બધાંને તો ઉજ્વળ ભાવિ માટે અંગ્રેજીની જરૂર રહેવાની જ છે. તેમના માટે અંગ્રેજીના શીક્ષણની જોગવાઇ કરવી જ પડશે. બીજું કંઇ નહીં તો પણ, તેમણે અાપણાં બાળકો સાથે ભળવા માટે પણ અંગ્રેજી શીખવું જ પડશે.

અાપણી પ્રથમ પેઢીને પછીની પેઢીઓ કરતાં કદાચ અંગ્રેજી વધારે સારું અાવડતું હશે, પણ અહીંની પ્રજા સાથે સારી ભાષામાં વાત કરવા માટે તે પર્યાપ્ત નથી જ. અાપણું અંગ્રેજીમાં વાચન, અને પરિણામે શબ્દભંડોળ દરિદ્ર જ છે. ભલે અાપણે ઘરમાં પણ ગુજરાતીના બદલે અંગ્રેજીમાં બોલી લઇએ છીએ, પણ અાપણને અંગ્રેજી અાવડે છે, તે તો અાપણા પોતાના ગળે પણ ઉતરે તેવી વાત નથી.

જે બાળકો અંગ્રેજી માધ્યમમાં જ શીક્ષણ લેવાનાં છે, તેમનું અંગ્રેજી જો નબળું હશે તો તેમનું અાખું ય શીક્ષણ એટલું કાચું જ રહેવાનું. તેમને બાળપોથીથી જ, ગુજરાતીના પણ પહેલાં અંગ્રેજી શીખવવું? કે પછી “કૂતરાનો ડ” શીખવીશું? એ બાળકોને “હોમવર્ક કરાવી શકવાની ક્ષમતા કેળવવા માટે તેમની માત્ર ગુજરાતી માધ્યમમાં માતાઓને પણ અાપણે અંગ્રેજી ભણાવીશું? કે પછી તેમના શીક્ષણની જેમ જ “હોમવર્ક”માં પણ પાછળ પડવા દઇશું?

અા અને અાવા બીજા અંગ્રેજી શીખવવાને લગતા મુદ્દાઓ ઉપર તમારાં મંતવ્યો જણાવવા અામંત્રણ છે.

શીક્ષણનું માધ્યમ: ગુજરાતી કે અંગ્રેજી?

November 3, 2009

અંગ્રેજી વિશ્વભાષા કહેવરાવવાની યોગ્યતા ધરાવે છે કે કેમ, એ બાબત બે મત હોઇ શકે, પણ ભારતમાં તે “અાગળ વધવાની ભાષા” તરીકે જનતા વડે તો સ્વિકૃત થઇ ચૂકી છે. અાગળ વધવામાં પૈસાનો ફાળો સારો એવો હોય છે. તેથી અંગ્રેજી પૈસા કમાવાની જાણે કે એક ટીકિટ બની ગઇ છે. ગમે તેટલું દુઃખ થતું હોય તો પણ અા ઘટના સમજી શકાય તેવી છે. અંગ્રેજી, કે બીજી કોઇ પણ ભાષા શીખવા સામે અાપણો વિરોધ ન જ હોવો જોઇએ. સવાલ એ છે કે અાપણા ભાષા અને સંસ્કારઘરની ચાવી તેના હાથમાં સોંપી દેવાનું યોગ્ય છે કે નહીં. ખુદ માતૃભાષા ગુજરાતી જ અંગ્રેજીમાં શીખવવાનું યોગ્ય લાગે છે ખરું? ન્યૂયોર્કમાં જ નહીં, પણ અમદાવાદમાં પણ, “વાળ” એટલે “હેર”, એમ બોલતાં જીભે લોચા નથી વળતા? વળવા જોઇએ ખરા?

જીવનનાં ચાર પ્રયોજનો, ધર્મ-અર્થ-કામ-મોક્ષમાંથી હવે માત્ર એક “અર્થ” જ બાકી રહેવા પામ્યું છે, ત્યાં જીવતર પાછળ બીજો કોઇ અર્થ પણ છે કે હોવો જોઇએ એમ અાપણને લાગે છે? જો તેનો જવાબ “ના” હોય, તો તો સઘળા શીક્ષણનું માધ્યમ અંગ્રેજી જ હોય તે નિર્વિવાદ છે. ધર્મ, સંસ્કાર, સંસ્કૃિત, રાષ્ટ્રગૌરવ, એ કશાની ય જો અાપણને પડી ન હોય, તો તો અંગ્રેજી માધ્યમ સામે અાપણને કંઇ વાંધો ન હોઇ શકે. અંગ્રેજી પ્રત્યેની અાપણી અાંધળી ભક્તિ અને દોટ, કદાચ અાપણાં ધર્મ, સંસ્કૃિત, ઇત્યાદિમાં ઘૂસેલા સડા, ભ્રષ્ટાચાર, તથા પાખંડ તરફની ભારેલી ઘૃણાની સલામત છટકબારી તો નથી ને!

ભાષા શીક્ષણ : ગુજરાતી, અંગ્રેજી માધ્યમ દ્વારા.

November 3, 2009

ગુજરાતમાં, ભારતમાં, અને વિદેશમાં વસતા ભિન્ન ભિન્ન વયના ગુજરાતીઓને ગુજરાતી શીખવાની જરૂર છે ખરી? શા માટે? વળી, મહારાષ્ટ્રમાં (મુંબાઇ) અા પ્રશ્ન વધારે તીવ્ર છે, કારણ કે ત્યાં તો મરાઠી પછી જ ગુજરાતીનો વારો અાવે. એક પાયાનો પ્રશ્ન એ પણ છે કે, કોઇની ગુજરાતી શીખવાની ઇચ્છા છે ખરી? ભારતની બહાર તો અાપણાં બાળકોને અમેરિકામાં જન્મેલાં, અને દિશાશૂન્ય (કન્ફ્યૂઝ્ડ), દેશી (એબીસીડી) તરીકે ઓળખવામાં અાવતાં હતાં. હવે ખુદ ગુજરાતમાં જ અંગ્રેજી માધ્યમની શાળાઓ તરફ હિજરત થવા માંડવાથી બાળકોનાં માબાપ જ ગુજરાતમાં જન્મ્યા હોવા છતાં દિશાશૂન્યતાને અારે અાવી ઊભાં છે. અંગ્રેજી માધ્યમ દ્વારા સકળ શીક્ષણ અાપવાની વાત અાપણે એક જૂદા વિભાગમાં ચર્ચીશું (શીક્ષણનું માધ્યમ: ગુજરાતી કે અંગ્રેજી?). ગુજરાતી શીખવવાને લગતા, અા અને અન્ય મુદ્દાઓ ઉપર તેમનાં મંતવ્યો રજૂ કરવા અામંત્રણ છે.

 

હવે અાપણે ષેના ઉપર જગદીષું?

November 2, 2009

અાપણે સાર્થ કે ઉંઝા જોડણી ઉપર સારી એવી ચર્ચા કરી છે. તથા અનુસ્વારની મથામણ ઉપર પણ ચર્ચાની શરૂઅાત કરી છે. vkvora, Atheist, Rationalist તરફથી અાજે મળેલી નવી નોંધ, કે જે “જોડણી: સાર્થ, અરાજક, કે ઉંઝા?” એ વિભાગમાંથી લઇને નીચે ફરીથી છાપેલી છે, તેના ઉપરથી લાગે છે કે હવે જ/ઝ, તથા શ/ષ/સ, અને તેવા બીજા પ્રશ્નો ઉપર ચર્ચા કરવાની જરૂ ર છે.

……………………….

vkvora, Atheist, Rationalist Says:

November 1, 2009

લાગે છે કે આ સાર્થ ઝોડણીની ચર્ચામાં હજી ઝોર નથી આવ્યું. ગુજરાતમાં કચ્છ, મહેષાણા, ષૌરાષ્ટ્ર, ષુરત અને વલસાડના લોકો જે ભાશા બોલે છે એ આમ તો ગુઝરાતી છે પણ લખીયે ત્યારે ખબર પડે કેટલી અલગ છે. શરુઆત ગુજરાત, ગુઝરાત, ગૂજરાત, ગૂઝરાતથી થાય.

અંગ્રેઝીમાં ષબ્દોને અક્ષરો પ્રમાણે ષોર્ટીંગ કરવાની ઝે વ્યવસ્થા છે એનાથી ડીક્ષ્નરીમાં શબ્દ ક્યાં હશે તે ખબર પડી જાય છે.ષાર્થ ઝોડણીમાં એવા ઘણા ષબ્દો છે જેનો લગભગ ઉચ્ચાર ખબર હોવા છતાં ઝોડણીના કારણે મળતા નથી અને ગોતાગોત કરવી પડે છે. જે એક ઝાતની ષજા કહેવાય. પણ જો ઈ, ઉ એક હોય તો એટલી ષઝા આખા ઝનમારાની ઝનમટીપને બદલે ૧૪ વર્ષની થાય.

………………………….

સંચાલકનો પ્રત્યુત્તર:

સર્વ પ્રથમ તો ત્રણ શ/ષ/સ અને બે જ/ઝની અાવશ્યકતા વિષે વાત કરીએ. વધતી જતી ઉંમર સાથે (ઘરડા થવાની વાત નથી. જન્મ્યા ત્યારથી જ ઉંમર વધતી અાવી છે) નવું શીખવાનું અઘરું પડે, પણ જૂનું કે નવું સઘળું ય ભૂલવાની તો મજા અાવે. મને જો કે અા ત્રણ અને બે વ્યંજનોનો બોજ ભારે નથી પડતો.

કચરા જેવા, એના એ જોક ફરી ફરીને સાંભળતાં જ મને તો ક્યાં તો જાળમાં કે પછી ઝાળમાં ફસાયો હોઉં તેમ લાગે છે, અને એવા એવા “જોકો” સાંભળીને ઝોકાં જ અાવવા માંડે છે. તેથી જ/ઝ બંને એક જ માના કે બાપના સંતાન છે તે તો સમજી શકાય તેવું છે. પરંતુ, અાપણે વ્યવહારમાં જોઇએ જ છીએ કે એક જ માબાપનાં બે સંતાનોમાં પણ ઘણો તફાવત હોય છે.

બહુ ખાવાથી ક્યાં તો ઝાડા થાય, નહીં તો પછી જાડા થઇ જવાય. વળી અાપણા જીવનસાથીને “જોડ”ના બદલે “ઝોડ” કહેવાનું જો સત્તાવાર રીતે શક્ય બને, તો તે કદાચ ગમે પણ ખરું.

ત્રણમાંના વચલા “ષ” તરફ મારો જીવ હંમેશાં ખેંચાય છે, અને તેને ઘણા સમયથી અન્યાય થતો અાવ્યો છે, તેમ પણ મને વસતું જાય છે. તેને બિચારાને કોઇ વાપરતું જ નથી. “ષટકોણ” શબ્દ તો હવે Non-nonresidents પણ નથી વાપરતા. એટલે ત્રણે યના બદલે માત્ર એક “ષ” જ વાપરવાની વાત જચે એવી છે. બીજો એક ફાયદો પણ છે. ગુજરાતીનો ગમે તેટલો મોટો વિરોધી પણ “ષું ષાં પૈષા ચાર” કહેતાં સો વાર વિચાર કરતો થઇ જાય!

ગુજરાતી ભાષા ધરમૂળથી ઊખડી જાય તે પહેલાં અા પ્રાણપ્રશ્નનો નિવેડો જો નહીં લાવીએ તો પછી ઘણું મોડું થઈ જશે. વાચકોને સત્વરે તેમના વિચારો જણાવવા વિનંતિ.

ભાષા સુધારણાની જરૂર છે ખરી?

October 28, 2009
  1. પૂર્ણતાનો અાગ્રહ: કોઇ પણ ભાષા સર્વાંગસંપૂર્ણ નથી, અને તેમ હોવાની જરૂર પણ નથી. ભાષાનું કામ ચાલતું રહે તેટલું જ બસ છે. અંતે તો ભાષા વ્યવહારનું સાધન છે. બે પક્ષો વચ્ચેના સંપર્કમાં વિઘ્ન ન અાવતું હોય ત્યાં સુધી ભાષાને સુધારવાની અગત્ય કોઇના ગળે ઉતારવી મુશ્કેલ છે.
  2. નવા પ્રવાહો:  ભાષા જેમ જેમ બીજી ભાષાઓના સંપર્કમાં અાવતી જાય, જેમ જેમ તે ખેડાતી જાય, તેમ તેમ તેનું શબ્દંડોળ બદલાતું જાય છે, અને તેને વારંવાર વ્યવસ્થિત કરતા રહેવાની જરૂર પડતી રહે છે. સાર્થ જોડણીકોશને અાની ખાસ જરૂર છે.
  3. પુરાણા અને અવરોધકારક વ્યાકરણના અને જોડણીના નિયમો: લઘુ-ગુરુના કે અનુસ્વારના નિયમો માત્ર ગ્રંથોમાં હોય, પણ વ્યવહારમાં કોઇ તે પાળતું ન હોય, તો ક્યાં તો નિયમો, અથવા તેમનું અપાતું શીક્ષણ બદલવાની જરૂર ઊભી થાય.
  4. વાપરનારની સગવડ:  ભાષા લોકોના વપરાશ માટે છે, અને અમુક હદ સુધી લોકોને તે માટે તૈયાર કરી શકાય. તેથી વધારે અપેક્ષા રાખવી યોગ્ય ન પણ લાગે. અા સગવડમાં જો અાળસ, બેદરકારી, ઉદ્દંડતા, અવગણના, અવહેલના, વગેરે ઉમેરીએ, તો પછી ચર્ચા માટે નવા નવા વિકલ્પો ઊભા થાય છે.
  5. ભાષાની કથળતી હાલત:  કોઇ પણ કારણથી પ્રજા જો ભાષાની વિમુખ થઇ જાય, તો તો કટોકટી જ સર્જાય. બીજી કોઇ ભાષાની (અંગ્રેજી) લોકપ્રિયતા વધે, તેટલા માત્રથી ગુજરાતીનો તેમાં કંઇ દોષ છે, તેવું ફલિત નથી થતું. ભાષામાં ગમે તેટલા સુધારા કરવાથી અા પરિસ્થિતિનો અંત અાવે તેમ નથી હોતું. બીજા કોઇ ઊપાયની અપેક્ષા રહે છે.

ભાષામાં સુધારો કરતાં પહેલાં ઉપરના મુદ્દાઓ ઊપર પૂરતો વિચાર કરવાની અાવશ્યકતા છે. નહીં તો “દુઃખે પેટ અને કૂટે માથું” જેવો ઘાટ થાય. સુધારાનો કોઇ પણ પ્રયત્ન ભાષાના ચાહકોમાં ફાટફૂટ પડવાનું પ્રથમ પગથિયું હોય છે. બંને પક્ષે નિષ્ઠા તીવ્ર હોય છે. અભિપ્રાયો પણ તેટલા જ વહાલા હોય છે, અને જો મધ્યમ માર્ગ ન નીકળે તો વિજયની અાશા પણ નકામી જ હોય છે. પક્ષો છૂટા પડે એ એક જ રસ્તો બાકી રહે છે. અા સંજોગોમાં ભાષાની સુધારણાની ખરેખર જરૂર છે કે નહીં, તેના કયા અંગને સુધારવાની જરૂર છે, જો જરૂર ન હોય તો બીજું શું કરવાની જરૂર છે, ઇત્યાદિ ખાસ વિચાર માગી લે છે.

વાચકોને તેમનાં મંતવ્યો રજૂ કરવા અામંત્રણ છે.

અંગ્રેજીની અવેજીમાં વપરાય તેવા ગુજરાતી શબ્દો

October 24, 2009

અહીં નવા શબ્દોનું સર્જન કરવાનો વિચાર નથી. તેમ કરવાની જરૂર પણ નથી. ગુજરાતી ભાષામાંના ઘણા શબ્દો અાપણે વાપરતા નથી, તેથી ભૂલી જઇએ છીએ, અને થોડા સમય પછી ‘ગુજરાતીમાં એના માટે કોઇ શબ્દ જ નથી” એમ માનવા લાગીએ છીએ. અાપણી લાચારી ભાષાના માટે ચડાવીએ છીએ. નીચે કેટલાક ગુજરાતી શબ્દો અા બ્લૉગ ઉપરથી લઇને મૂક્યા છે. તેમના બદલે કયો અંગ્રેજી શબ્દ વપરાયો હોત તે કલ્પવું અઘરું નથી. અા શબ્દો વાપરવા સાધારણ પ્રયત્ન કરીએ તો સારું.

સ્મૃિત (Memory)

સામયિક (Magazine, Periodical, from Period = સમય, )

સામાયિક (જૈન ધર્મીઓ દ્વારા કરાતી એક ક્રિયા)

પંક્તિ (Line)

સભા (Meeting)

કહેવત (Proverb)

રૂઢપ્રયોગ (Idiom)

અજ્ઞાન (Ignorance)

પ્રયત્ન, પ્રયાસ (Effort, Attempt)

પરવડવું (to Afford)

મુદ્દો (Point, Topic)

ટીપ્પણ (Comment)

પરચૂરણ (Miscellaneous)

અભિપ્રાય (Opinion)

વિભાગ (Part, Section)

સૂચન (Suggestion)

પ્રશંસા (Praise)

સંચાલક (Moderator)

લાયકાત (Qualification)

માહિતી (Information)

પ્રાધ્યાપક (Professor)

પ્રકાશક (Publisher)

સુધારક (Reformer)

સાક્ષર, વિદ્વાન (Scholar)

સામાન્ય (General, Ordinary)

મંતવ્ય (Opinion, belief)

ઉપરની યાદીમાંના શબ્દો તમારાથી અજાણ્યા નથી. તે નવા પણ નથી, તરકટી (બનાવટી, કૃત્રીમ) પણ નથી. ગુજરાતી વાપરવાની વાત અાવે ત્યારે જેમને ગુજરાતી સાથે કંઇ સંબંધ રહ્યો ન હોય તેમને પણ ભદ્રંભદ્ર , અને તેમનું “અગ્નિરથ વિરામ સ્થાન” તો અચૂક યાદ અાવે છે. રખેને અાપણે એ ભૂલી જઇએ, કે ભદ્રંભદ્ર તો એક કૂવામાંના દેડકા જેવું, સંકુચિત મનોવૃત્તિ ધરાવતું, Archie Bunker જેવું પાત્ર છે, કે જે એક  Bigot છે. ગુજરાતી ભાષામાં જ્યારે કંઇ પણ કરવાનું અાવે ત્યારે ભદ્રંભદ્રને યાદ કરીને રસ્તામાં પથરા તરીકે મૂકી દેવા, એ તો ભદ્રંભદ્રીય વૃત્તિનું જ દ્યોતક છે. વળી પ્રેમ, જાતીય સંબંધ, વ્યસન, ઇત્યાદિ માટે અંગ્રેજીના કવચ નીચે ભરાઇ જવું તે પણ યોગ્ય નથી જ. ખરાબ વૃત્તિઓ તો માનવસહજ છે, ગુજરાતીઓ તેમાંથી બાકાત છે તેમ માનવું એ તો સગવડપૂર્વકનું અજ્ઞાન છે.

અંગ્રેજી ભાષા ગુજરાતીથી વધારે “પાવરફુલ્લ” છે, કે તેથી ઉલટું છે, તે બંને ભૂલભરેલાં વિધાનો છે. “To be or not to be” જેવા સાવ સરળ વાક્યનું ગુજરાતી થઇ નથી શકતું. તેમ જ, “મંગળ, સૌભાગ્ય, બ્રહ્મચર્ય, વિલીન થવું, ઘણી ખમ્મા, રક્ષાબંધન”, વગેરેનું અંગ્રેજી થઇ ન શકે. થઇ શકે તો પણ તેમાં રહેલી ભાવના બદલાઇ જાય છે. “લગ્ન” અને Marriage શબ્દકોશમાં ભલે સમાનાર્થ શબ્દો હોય, પણ અંગ્રેજી શબ્દમાં ભવોભવના સંબંધની વાત નથી, માત્ર મૃત્યુ સુધીની જ વાત છે. અાપણી ચર્ચા ભાષા વિષયક છે, તેથી કજોડાં વગેરે પ્રાણપ્રશ્નોથી અાપણે દૂર રહીશું.

…પણ સાધારણ માણસ બિચારા શું કરી શકે?

October 23, 2009

અામ તો કશું જ નહીં. બધાં કામ તો મહાન માણસોથી જ થાય છે. પણ એ બધાં કામ તેઓ મહાપુરુષ થતાં પહેલાં, હજુ તેઓ સામાન્ય માણસ હોય છે, ત્યારે જ કરતા હોય છે. સામાન્ય માણસ કામ જ ન કરે તો તે મહાન થઇ જ ન શકે.

  1. અાપણાથી થઇ શકે તે કરવા માંડવું. પ્રભુના પયગંબરની રાહ જોઇને બેસી રહેવાથી કંઇ ફાયદો નહીં થાય. ભાષા જનસાધારણની માલિકીની છે, વિદ્વાનોની માલિકીની નથી.
  2. દર રોજ સવારે એક પાનું કોઇ એક ગુજરાતી પુસ્તકનું વાંચવું. તે પછી જ અન્ય ભાષાનું લખાણ વાંચવું.
  3. ઘરમાં જો ગુજરાતી પુસ્તક ન હોય તો તે, કે કોઇ સામયિક સત્વરે મંગાવી લેવું.
  4. કંઇ જ ન હોય, તો છેવટે સ્મૃિતમાંથી કોઇ ગુજરાતી કાવ્ય, કે પ્રાર્થના, કે ભજન, કે ગીત યાદ કરવું.
  5. પછી હિંદી કે સંસ્કૃતની કોઇ કૃતિ યાદ કરવી.
  6. રોજ ઓછામાં ઓછી પાંચ પંક્તિનો એક પત્ર, પોતાના પતિ કે પત્નીને, એક જ ઘરમાં સાથે જ રહેતા હોય તો પણ, ગુજરાતીમાં લખવો. મોકલવો કે નહીં, તે તમારી મરજીની વાત છે.
  7. ટેલિફોનમાં અને ઇ-મેઇલમાં ગુજરાતી સમજતાં હોય તેમની સાથે બને તેટલો વ્યવહાર ગુજરાતીમાં જ કરવો. ભાષાની મધુરતાને નુકશાન કરવાની જરૂર નથી.
  8. હિંદુ કે જૈન ધર્મના ગ્રંથો અંગ્રેજી કરતાં ગુજરાતીમાં વાચવાં સરવાળે વધારે સહેલાં પડશે. બને ત્યાં સુધી ગુજરાતી કે હિંદીમાં જ વાંચવાં.
  9. સભામાં ગુજરાતી અને હિંદી ભેગાં કરવાથી તે બંને ભાષાના અજ્ઞાનની સાબિતી અપાય છે, તેથી બરોબર ન અાવડતું હોય તેમ લાગવા છતાં ગુજરાતીમાં બોલવા પ્રયત્ન કરવો. જરૂર પડ્યે લખી રાખવું.  અામ કરવાથી બીજાંને પણ તેમ કરવાનું મન થશે.
  10. રોજ એક જૂની કહેવત કે રૂઢપ્રયોગ યાદ કરવો. “કામણગારી”, “નખરાળી”, કે “ફૂલીને ફાળકો થયો”, કે “પેટમાં તેલ રેડાયું” એ “તમને સાંભરે રે?” એમ કોઇ પૂછે, તો કહેજો કે, “મને કેમ વિસરે રે?’

વાચકોને વધારે સૂચનો મોકલવા અામંત્રણ છે.

પરચુરણ

October 19, 2009

હા, હજુ એક વાત તો રહી ગઇ !

કેટલાક વાચકોએ પ્રશ્ન કર્યો છે કે તેમને જે વાત કહેવી છે, તે ક્યાં તો એકથી વધારે મુદ્દા સાથે સુસંગત છે, અથવા તો એક્કે ય સાથે તેનો મેળ બેસતો નથી, તો તેનું શું કરવું? એકથી વધારે મુદ્દા સાથે લાગુ પડતી વાતના બની શકે તો ભાગ કરવા, અને પછી તે તે મુદ્દા સાથે તેને જોડવી. તે મુદ્દામાંની જે ટીકા સાથે તેને વધારે ગાઢ સંબંધ હોય, તે ટીકા ઉપર જઇ, ત્યાંના “જવાબ” બટન ઉપર ક્લિક કરીને, સાવ નીચેના બોક્સમાં અભિપ્રાય લખવો.

જે અભિપ્રાય કશાની સાથે બેસતો ન અાવતો હોય, તેના માટે અા વિભાગ છે. એક મુદ્દામાં ન સમાઇ શકે તેવા, કે હજુ સુધી નહીં છેડાયેલા મુદ્દા અંગેના અભિપ્રાયો, સૂચનો, પ્રશંસાનાં પુષ્પો, કે ખાસડાંના હારો (માત્ર સંચાલકને માટે જ. અન્ય કોઇની અા માટેની લાયકાત સ્વીકાર્ય નહીં ગણાય), ગોળગોળ વાતો, અમે પણ કંઇક છીએ તે સાબિત કરવાના પ્રયાસો, બીજા કોઇ બ્લૉગ ઉપર જો ગુજરાતી ભાષા સુધારણાની ચર્ચા થઇ રહી હોય તો તે બાબતની માહિતી, એ જ વિષય બાબત તાજેતરમાં કંઇ પ્રવૃત્તિના અહેવાલો અાવ્યા હોય તો તેની જાહેરાત, અામંત્રણો, ઇત્યાદિને યોગ્યતા પ્રમાણે અહીં સ્થાન મળી શકશે.

અા બ્લૉગ માત્ર પ્રાધ્યાપકો, શીક્ષકો, પ્રકાશકો, સુધારકો, અન્ય સાક્ષરો અને વિદ્વાનો માટે નથી. સામાન્ય ગૃહસ્થીઓ અને ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ, અને બીજા જે કોઇને ગુજરાતી ભાષા વિશે ચિંતા કે ગૌરવ થતાં હોય તે સૌને માટે અા વિભાગ છે. મોકળા મને તમારા અભિપ્રાયો, મંતવ્યો, સઘળું રજૂ કરવા અામંત્રણ છે, ગુજરાતીમાં, દેવનાગરીમાં, કે અંગ્રેજીમાં.


Follow

Get every new post delivered to your Inbox.